પીએમ મોદીએ જમ્મુ-કાશ્મીરને આપી મોટી ભેટ , શ્રીનગર-લેહને જોડતી ઝેડ-મોડ ટનલનું ઉદ્ધાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં Z-મોડ ટનલનું ઉદ્ધાટન કર્યું છે. આ ટનલના ઉદ્ધાટનમાં જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહ, એલજી મનોજ સિંહા, કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાન મોદીની કાશ્મીર મુલાકાતના લીધે સુરક્ષાદળોએ ખીણમાં સુરક્ષા વધારી હતી. ટોચના ચાર રસ્તાઓ પર ડઝન ચેકપોઈન્ટ બનાવવામાં આવ્યા છે. ટનલનું ઉદ્ધાટન કર્યા બાદ વડાપ્રધાને ટનલનું નિરીક્ષણ કર્યું હતું. ટનલ ક્ષેત્રની નજીક ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
Z મોડ ટનલ છે અત્યંત મહત્ત્વની
આ Z મોડ ટનલને દરેક હવામાનના હિસાબે બનાવવામાં આવી છે. હવે શિયાળામાં ભારે બરફ વર્ષાના કારણે હાઈવે બંધ નહીં થશે. ટનલ ખુલ્યા બાદ 12 KMની મુસાફરી ઘટીને 6.5 રહી જશે. વાહનો 15 મિનિટમાં જ આ આ અંતર કાપી શકશે. લદાખને દેશના બીજા હિસ્સા સાથે જોડશે આ ટનલ, 2400 કરોડના ખર્ચે આ ટનલ તૈયાર કરવામાં આવી છે.
1000 વાહનોની અવરજવર થઈ શકશે
દર કલાકે 1000 વાહનોની અવરજવરની ક્ષમતા છે. આ ટનલ 10 મીટર પહોળી છે અને આ સાથે જ સાડા સાત મીટરની એક એસ્કેપ ટનલ બનાવવામાં આવી છે. આ યોજના હેઠળ બીજી ટનલ છે જેની લંબાઈ 14 KM છે, તે બાલટાલથી જોઝિલા પાસની પાર મિનીમાર્ગ એટલે કે દ્રાસ સુધી જશે. આ ટનલના ઉપયોગ બાદ સેનાને પણ સરહદી ક્ષેત્રો સુધી પહોંચવામાં ખૂબ સરળતા રહેશે. આ ટનલ શરૂ થવાથી તેનો સમય પણ બચશે.
2015માં શરૂ થયો હતો પ્રોજેક્ટ
તમને જણાવી દઈએ કે, જોઝિલા ટનલનું કામ પૂર્ણ થયા બાદ શ્રીનગર-લેહ માર્ગ આખું વર્ષ ખુલ્લો રહેશે. આ પ્રોજેક્ટ પર કામ મે 2015માં શરૂ થયું હતું. ટનલના બાંધકામનું કામ ગત વર્ષે એટલે કે 2024માં પૂર્ણ થયું હતું.

Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh