Mahakumbh ૨૦૨૫ : પ્રયાગરાજ મહાકુંભ – જુઓ , શું મહત્વ , કેવી રીતે પહોંચી શકાય , તૈયારીઓ , જાણો પળ પળ ની ખબરો.
મહાકુંભ : ક્યાં છે પ્રયાગરાજ અને ગુજરાતથી ત્યાં કેવી રીતે પહોંચી શકાય?
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13મી જાન્યુઆરી, 2025થી મહાકુંભમેળો શરૂ થશે. ઉત્તર પ્રદેશની સરકારનું અનુમાન છે કે 45 દિવસ ચાલનારા આ ઉત્સવમાં લગભગ 40 કરોડ લોકો આવશે.
આ મહાકુંભમેળો 13મી જાન્યુઆરીના દિવસે પોષ પૂર્ણિમાથી 26 ફેબ્રુઆરીના દિવસે મહાશિવરાત્રિ સુધી આયોજિત કરવામાં આવ્યો છે. યુપી સરકારને આશા છે કે દર 12 વર્ષે યોજાતા આ મહાકુંભમેળામાં દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ આવશે.
ગુજરાતથી પણ મોટી સંખ્યામાં મહાકુંભમેળામાં લોકો જાય તેવી સંભાવના છે, ત્યારે પ્રયાગરાજ કેવી રીતે પહોંચી શકાય, મહાકુંભમાં જવા માગતા ગુજરાતી યાત્રાળુઓ માટે કઈ કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે? આ લેખમાં આપણે જાણીએ.
ગુજરાતથી કઈ કઈ ટ્રેનો?
ગુજરાતનાં ઘણાં શહેરોથી પ્રયાગરાજ જવા માટે ઘણી ટ્રેનો ઉપલબ્ધ છે. જો તમે ટ્રેન મારફતે મહાકુંભમેળામાં જવા માગતા હો તો તમારા માટે આ પ્રયાગરાજ જતી આ ટ્રેનોનું ટાઇમટેબલ જાણવું જરૂરી છે.
- અમદાવાદ-પટના એક્સપ્રેસ- રવિવારે રાત્રે 9.50 કલાકે
- અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ-રવિવારે સવારે 9.10 કલાકે
- અમદાવાદ-બરૌની એક્સપ્રેસ- રવિવારે મધરાત્રે 12.35 કલાકે
- બનારસ એક્સપ્રેસ- સોમવારે બપોરે 1.45 કલાકે
- અઝિમાબાદ એક્સપ્રેસ સોમવારે રાત્રે 9.50 કલાકે
- અમદાવાદ-બરૌની એક્સપ્રેસ- સોમવારે મધરાત્રે 12.35 કલાકે
- પારસનાથ એક્સપ્રેસ- મંગળવારે 11.15 કલાકે
- અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ-મંગળવારે સવારે 9.10 કલાકે
- અમદાવાદ-બરૌની એક્સપ્રેસ- મંગળવારે મધરાત્રે 12.35 કલાકે
- અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ-બુધવારે સવારે 9.10 કલાકે
- અઝિમાબાદ એક્સપ્રેસ બુધવારે રાત્રે 9.50 કલાકે
- અમદાવાદ-બરૌની એક્સપ્રેસ- બુધવારે મધરાત્રે 12.35 કલાકે
- અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ- ગુરુવારે સવારે 9.10 કલાકે
- ઓખા-બનારસ સુપરફાસ્ટ એક્સપ્રેસ-ગુરુવારે રાત્રે 11.15 કલાકે
- અમદાવાદ-પ્રયાગરાજ સુપરફાસ્ટ એક્સપ્રેસ- ગુરુવારે બપોરે 4.35 કલાકે
- અમદાવાદ-જંઘઈ સ્પેશિયલ ટ્રેન- ગુરુવારે રાત્રે 9.15 કલાકે
- અમદાવાદ-આસનસોલ એક્સપ્રેસ ટ્રેન- ગુરુવારે મધરાત્રે 12.35 કલાકે
- ગાંધીનગર-વારાણસી એક્સપ્રેસ ટ્રેન- શુક્રવારે મધરાત્રે 12.10 કલાકે
- અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ- શુક્રવારે સવારે 9.10 કલાકે
- અમદાવાદ-બરૌની એક્સપ્રેસ- શુક્રવારે મધરાત્રે 12.35 કલાકે
- ગાંધીધામ-હાવડા એક્સપ્રેસ- શનિવારે રાત્રે 11.15 કલાકે
- અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ- શનિવારે સવારે 9.10 કલાકે
- અમદાવાદ-બરૌની એક્સપ્રેસ- શનિવારે મધરાત્રે 12.35 કલાકે
- તાપી-ગંગા એક્સપ્રેસ (મંગળવાર અને શનિવારે સવારે 10.21 કલાકે ઉધનાથી ઊપડે છે)
- સુરત-છાપરા સ્પેશિયલ ટ્રેન(સોમવારે સવારે 8.35 કલાકે ઉધનાથી ઊપડે છે)
- બાન્દ્રા ગાઝીપુર સિટી એક્સપ્રેસ(સોમવારે અને શનિવારે સવારે 3.00 કલાકે સુરતથી ઊપડે છે)
- બાન્દ્રાથી ગોરખપુર એક્સપ્રેસ(સોમવારે સવારે 8.35 કલાકે સુરત ખાતેથી ઊપડે છે)
- સુરત-ભાગલપુર એક્સપ્રેસ(મંગળવાર અને શનિવારે સવારે 10.21 કલાકે ઉધનાથી ઊપડે છે)
- કેવડિયા કૉલોની-વારાણસી એક્સપ્રેસ(મંગળવારે રાત્રે 22.42 વાગ્યે સુરતથી)
- ઉધનાથી બનારસ સુપરફાસ્ટ(મંગળવારે સવારે 7.25 કલાકે)
- રાજકોટથી કોઈ સીધી ટ્રેન પ્રયાગરાજ માટે ઉપલબ્ધ નથી
મહાકુંભ માટે ગુજરાતથી સાત સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે
પશ્ચિમ રેલવે દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતથી મહાકુંભમાં જવા માટે ખાસ સાત સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. આ ટ્રેનો આ પ્રકારે છે.
- સાબરમતી-બનારસ સ્પેશિયલ ટ્રેન- સવારે 11.00 કલાકે ( 16 જાન્યુઆરી, 5,9,14 અને 18 ફેબ્રુઆરી, 2025ના રોજ રવાના થશે)
- સાબરમતી વાયા ગાંધીનગરથી બનારસ સ્પેશિયલ ટ્રેન- સવારે 10.25 કલાકે (19,23 અને 26 જાન્યુઆરીના રોજ)
- ઉધના-બલિયા મહાકુંભમેળા સ્પેશિયલ સવારે 6.40 કલાકે(17 જાન્યુઆરી અને 16 ફેબ્રુઆરી)
- વલસાડ-દાનાપુર મહાકુંભમેળા સ્પેશિયલ સવારે 8.40 કલાકે (8,17,21,25 જાન્યુઆરી, 8,15,19 અને 26 ફેબ્રુઆરી)
- વાપી-ગયા સ્પેશિયલ, સવારે 8.20 કલાકે (9,16,18,20,22,24 જાન્યુઆરી અને 7,14,18,22 ફેબ્રુઆરી)
- વિશ્વામિત્રી-બલિયા સ્પેશિયલ સવારે 8.35 કલાકે (17 ફેબ્રુઆરી)
- ભાવનગર-બનારસ સ્પેશિયલ સવારે પાંચ વાગ્યે (22 જાન્યુઆરી, 16 અને 20 ફેબ્રુઆરી)
ગુજરાતથી પ્રયાગરાજ સુધી કઈ કઈ ફ્લાઇટ્સ?
અમદાવાદથી પ્રયાગરાજની સીધી ફ્લાઇટ પણ ઉપલબ્ધ છે. જેમાં સ્પાઇસજેટ અને ઇન્ડિગોની ફ્લાઇટ મુખ્ય છે. કેટલાક દિવસોએ આકાશા ઍર અને ઍર ઇન્ડિયાની ફ્લાઇટ પણ ઉપલબ્ધ છે.
સુરતથી પણ વાયા વડોદરા અને વાયા હૈદરાબાદ થઈને પ્રયાગરાજની ફ્લાઇટ ઉપલબ્ધ છે. વડોદરાથી પણ પ્રયાગરાજ માટેની ફ્લાઇટ ઉપલબ્ધ છે, જોકે તે કનેક્ટિંગ ફ્લાઇટ છે. જેમાં દસ કલાકથી વધારે સમય લાગે છે.
રાજકોટથી પણ પ્રયાગરાજ સુધીની ફ્લાઇટ છે. જે મુંબઈ થઈને પ્રયાગરાજ લઈ જાય છે, તેનું ભાડું 12 હજારની આસપાસ છે.
ઉપરાંત કંડલાથી પણ પ્રયાગરાજ સુધીની કનેક્ટિંગ ફ્લાઇટ છે, પણ તે 24 કલાક કરતાં વધુ સમય લે છે અને તેનું ભાડું 25 હજાર કરતાં વધુ છે.
ભુજથી વારાણસી અને ગોરખપુરની ફ્લાઇટ છે. જે નીચે પ્રમાણે છે.
સ્પાઇસજેટની સવારે 8.10 અને મોડી સાંજે 7.20.
ઇન્ડિગોની સવારે 4.45, 5.45, 7.05 અને 11.50 વાગ્યે.
આકાશા ઍર અને ઍર ઇન્ડિયાની ફ્લાઇટો પણ આ રૂટ પર ઉપબલ્ધ છે.
કેટલાક દિવસે વધુ ફ્લાઇટ પણ ઉપલબ્ધ છે.
અમદાવાદથી સીધી ફ્લાઇટ હોય તો પ્રયાગરાજ પહોંચતાં એક કલાક અને 45 કલાક લાગે છે. કનેક્ટિંગ ફ્લાઇટ હોય તો તેના માટે આઠથી 12 કલાક લાગતી હોય છે.
પ્રયાગરાજ ઍરપૉર્ટ પર પ્રીપેઇડ ટૅક્સી અને બૅટરી રિક્ષા ઉપલબ્ધ છે. ટૅક્સીચાલક પ્રયાગરાજ શહેર સુધી પહોંચવા માટે 800 રૂપિયા સુધી તથા કુંભમેળાના સ્થળ સુધી પહોંચવા માટે 1000 રૂપિયા સુધી વસુલ કરે છે.
બૅટરી રિક્ષા મારફતે પ્રયાગરાજ સુધી 200 રૂપિયા તથા કુંભમેળાસ્થળ સુધી પહોંચવામાં 400 રૂપિયા લાગે છે.
પ્રયાગરાજ ઍરપૉર્ટથી પ્રયાગરાજ શહેર 16 કિલોમીટર દૂર છે. પ્રયાગરાજ શહેરથી કુંભમેળાનું સ્થળ છ કિલોમીટર દૂર છે.
અમદાવાદથી ફ્લાઇટની કિંમત આઠ હજારથી 27 હજાર રૂપિયા છે.
ગુજરાતથી ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ પ્રયાગરાજ માટે કોઈ ખાસ બસની વ્યવસ્થા નથી કરી રહ્યું.
કેટલીક ખાનગી ટ્રાવેલ્સ કંપની પ્રયાગરાજ સુધી બસ દોડાવે છે. જોકે તેનું ભાડું 1,700થી 3,500 રૂ. છે અને તે 30થી 35 કલાકનો સમય લે છે.
પ્રયાગરાજમાં આવાસ માટે ટેન્ટ (તંબુ)
ઉત્તર પ્રદેશની સરકારનું કહેવું છે કે કુંભમેળામાં વધારે શ્રદ્ધાળુ આવશે. સરકારનું અનુમાન છે કે 2013માં આયોજિત મહાકુંભમાં 20 કરોડ લોકો સામેલ થયા હતા. આ વખતે આ સંખ્યા બમણી થાય તેવી સંભાવના છે.
યુપી સરકારના જણાવ્યા પ્રમાણે ખાનગી કંપનીઓના સહયોગથી અહીં 1.60 લાખ ટેન્ટ તૈયાર કરાયા છે.
ઉત્તર પ્રદેશ પર્યટનવિભાગે પણ જાહેરાત કરી છે કે આ ટેન્ટો માટે ઑનલાઇન બુકિંગ થઈ શકે છે.
https://kumbh.gov.in/ કે upstdc.co.in વેબસાઇટ પર તેનું બુકિંગ થઈ શકે છે.
આ ઉપરાંત 8887847135 પર વૉટ્સઍપ કરવાથી પણ તમને ચૅટબૉટ ઉપલબ્ધ થશે. ટેન્ટનું બુકિંગ ટેન્ટનાં પ્રકાર અને સુવિધા પર આધારિત છે.
IRCTC એ પણ મહાકુંભ માટે વિશેષ ટેન્ટની વ્યવસ્થા કરી છે. તેનું બુકિંગ તમે https://www.irctctourism.com/mahakumbhgram પરથી કરી શકો છો. ટેન્ટનો ભાવ 16 હજારથી 18 હજાર છે. જેમાં રહેવાનું ઉપરાંત નાસ્તો અને જમવાનું પણ સામેલ છે.
તમે રહેવા માટે ધર્મશાળા, ખાનગી હોટલો કે રિસોર્ટ્સનું બુકિંગ પણ ખાનગી ટ્રાવેલિંગ વેબસાઇટ પરથી કરી શકો છો.
અમદાવાદથી કેટલાક ટુર અને ટ્રાવેલ એજન્ટો દ્વારા ખાસ પ્રયાગરાજ માટેનું પૅકેજ પણ ઉપલબ્ધ છે. જેના મારફતે પણ તમે બુકિંગ કરાવીને મહાકુંભની યાત્રા કરી શકો છો. જોકે, કોઈ પણ બુકિંગ કરાવતા પહેલાં એજન્ટોની તપાસ અને ચકાસણી કરવી જરૂરી છે, જેથી પાછળથી કોઈ ફરિયાદ ન રહે.
આસપાસનાં જોવાલાયક સ્થળો
પ્રયાગરાજમાં મહાકુંભમેળા ઉપરાંત આસપાસ અન્ય જોવાલાયક સ્થળો પણ છે. જો તમે તમારી યાત્રાની યોજના બનાવો છો તો તેને પણ તમારી યાત્રાના આયોજનમાં સમાવી શકો છો.
હનુમાનમંદિર, અલોપમંદિર, ઇલાહાબાદ કિલ્લો, આનંદભવન, ચંદ્રશેખર આઝાદ પાર્ક જેવાં જોવાલાયક સ્થળો પણ પ્રયાગરાજમાં છે.
અયોધ્યા પણ પ્રયાગરાજથી માત્ર 180 કિલોમીટર છે. વારાણસી અને ચિત્રકૂટ 130 કિલોમીટર છે. આ તમામ લોકપ્રિય ધાર્મિકસ્થળો છે, જેની તમે યોગ્ય આયોજન, ખર્ચ અને સુવિધા સાથે મુલાકાત લઈ શકો છો.
ડિસેમ્બરમાં પ્રયાગરાજમાં ઠંડી દસ ડિગ્રી સુધી રહે છે. સાથેસાથે ધુમ્મસ પણ રહે છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં જ્યારે મહાકુંભમેળાનું આયોજન છે, ત્યારે તાપમાન વધુ નીચે જવાની સંભાવના છે. તેથી ઉત્તર પ્રદેશ સરકારે યાત્રાળુઓને ઠંડીથી બચવા અનુરૂપ સુરક્ષાત્મક વ્યવસ્થા સાથે મહાકુંભમેળામાં આવવાની અપીલ કરી છે.
વધુ માહિતી માટે તમે પ્રયાગરાજ મેળા ઑથૉરિટીના ફોન નંબર 0532-2504011, 0532-2500775 પર સંપર્ક કરી શકો છો આ ઉપરાંત તમે info.mahakumbh25@gmail.com પર ઇ-મેઇલ પણ કરી શકો છો.
ઉપરાંત મહાકુંભ હેલ્પલાઇન નંબર 1920 છે અને પોલીસ હેલ્પલાઇન નંબર 112 છે.
અર્ધ કુંભ, કુંભ, પૂર્ણ કુંભ અને મહાકુંભ….શું છે અંતર અને કેવી રીતે થાય છે ગણતરી, કેમ પ્રયાગરાજમાં જ યોજાય છે મહાકુંભ
મહાકુંભ માત્ર ધાર્મિક આસ્થાનું પ્રતિક જ નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિ અને એકતાનો મહોત્સવ છે. ઘણા ઓછા લોકો જાણતા હશે કે, ભારતીય હિંદુ પરંપરામાં કુંભ, અર્ધ કુંભ, પૂર્ણ કુંભ અને મહાકુંભ એમ અલગ-અલગ પ્રકારના કુંભ આયોજાય છે.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે અતિભવ્ય મહાકુંભ (Maha Kumbh) મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે. દર 144 વર્ષે આવતા મહાયોગના આ અવસરમાં કરોડો લોકો ભાગ લેશે. એક અંદાજ પ્રમાણે, આ વર્ષે મહાકુંભમાં 40થી 45 કરોડ લોકો ભાગ લેશે. આ કરોડો લોકો અહીં ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતીના પવિત્ર સંગમમાં વિવિધ સ્નાન કરી પવિત્રતા અને ધન્યતા અનુભવશે. કુંભને ભારતીય સંસ્કૃતિનો સહુથી મોટો મહાપર્વ માનવામાં આવે છે. ખાસ તેમાં સંગમ સ્નાનનો વિશેષ મહિમા છે. આ મેળામાં સાધુ-સંતો અને નાગા સાધુઓના અખાડાઓ સાથે-સાથે સામાન્ય લોકોનો મેળાવડો પણ ઉમટી પડે છે. આજે જાણીશું કે, સનાતન સંસ્કૃતિમાં કુંભ મેળાના પ્રકાર કેટલા છે.
આ મહાકુંભ માત્ર ધાર્મિક આસ્થાનું પ્રતીક જ નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિ અને એકતાનો મહોત્સવ પણ છે. આ વખતે પ્રયાગરાજમાં આયોજિત કુંભને મહાકુંભ કહેવામાં આવી રહ્યો છે, તો સવાલ થાય કે આખરે તેને મહાકુંભ શા માટે કહેવામાં આવી રહ્યો છે? ઘણા ઓછા લોકો જાણતા હશે કે, ભારતીય હિંદુ પરંપરામાં કુંભ, અર્ધ કુંભ, પૂર્ણ કુંભ અને મહાકુંભ એમ અલગ-અલગ પ્રકારના કુંભનું આયોજન થાય છે. આ અલગ-અલગ આયોજન પાછળ ખગોળીય ગણના મૂળ આધાર છે. તેની ગણતરી કેવી રીતે થાય છે અને તેનું આગવું મહત્વ શું છે તે વિશેની આપણે માહિતી મેળવીશું.
મહાકુંભ મેળો ભારતીય પરંપરાનો એક એવો સાંસ્કૃતિક પવિત્ર ઉત્સવ છે, જેનો મહિમા પ્રાચીન ગ્રંથોથી લઈને આધુનિક યુગ સુધી સંભળાય છે.
આ મેળો માત્ર આસ્થાનું પ્રતીક જ નહીં, પરંતુ ભારત દર્શન, પરંપરાઓ અને ખગોળીય વિજ્ઞાનનો બેજોડ સંગમ પણ છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, સમુદ્રમંથન સમયે અનેક વસ્તુઓ સાથે અમૃત કળશ પણ નીકળી આવ્યો હતો. તે સમયે તેમાંથી અમૃતની કેટલીક બુંદો હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિક ખાતેના પવિત્ર સ્થળોએ પડી હતી. આ જ કારણ છે કે, આ ચાર પવિત્ર સ્થળોએ કુંભનું આયોજન કરવામાં આવે છે.
ખગોળીય ગણનાઓના આધારે અર્ધ કુંભ, કુંભ, પૂર્ણ કુંભ અને મહાકુંભનું આયોજન અનંતકાળથી થતું આવ્યું છે. વિષ્ણુ પુરાણમાં ખૂબ જ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જ્યારે ગુરુનો કુંભ રાશિમાં પ્રવેશ થાય છે અને સૂર્યનો મેશ રાશિમાં પ્રવેશ થાય છે, ત્યારે હરિદ્વારમાં કુંભનું આયોજન થાય છે. તેવી જ રીતે જ્યારે સૂર્ય અને ગુરુ સિંહ રાશિમાં હોય ત્યારે નાસિકમાં કુંભનું આયોજન થાય છે. ગુરુ જ્યારે કુંભ રાશિમાં પ્રવેશે ત્યારે ઉજ્જૈનમાં કુંભ યોજાય છે. સાથે જ જ્યારે માઘ અમાસના દિવસે સૂર્ય અને ચંદ્રમા મકર રાશિમાં આવે અને ગુરુ મેષ રાશિમાં હોય ત્યારે પ્રયાગરાજમાં કુંભ આયોજિત થાય છે. અનાદિકાળથી આ સચોટ ખગોળીય ગણનાનું પાલન થતું આવ્યું છે. હવે જાણીએ અલગ-અલગ કુંભ મેળાનો મહિમા.
અર્ધ કુંભ
અર્ધ કુંભ એક ધાર્મિક અને સાંસ્કૃતિક આયોજન છે, જે દર છ વર્ષે હરિદ્વાર અને પ્રયાગરાજમાં યોજાય છે. આ આયોજન અતિપવિત્ર એવી ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના સંગમ પર થાય છે. અર્ધ કુંભનું મહત્વ એટલા માટે વધારે છે કારણ કે, તેને કુંભ મેળાના અડધા ચક્ર તરીકે જોવામાં આવે છે.
લાખો ભક્તો આ પર્વમાં સંગમનું પવિત્ર સ્નાન કરવા આવે છે. એવી માન્યતા છે કે, આ સમય દરમિયાન સંગમમાં સ્નાન કરવાથી તમામ પાપોનો નાશ થાય છે અને અને મનુષ્યને મોક્ષ પ્રાપ્ત થાય છે. અર્ધ કુંભના આયોજનનો સમય પણ ખગોળીય ગણતરીઓ પર આધારિત છે. જ્યારે ગુરુ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરે છે અને સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે અર્ધ કુંભનું આયોજન થાય છે.
કુંભ મેળો
વિશ્વનો સૌથી મોટો ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવ છે, જે દર 12 વર્ષે ચાર સ્થળો – હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિકમાં યોજાય છે. તેને ભારતીય સંસ્કૃતિ અને આસ્થાનું પ્રતિક માનવામાં આવે છે. કુંભ મેળાની દંતકથા સમુદ્રમંથન સાથે જોડાયેલી છે, જેમાં અમૃત કળશ મેળવવા માટે દેવતાઓ અને અસુરો વચ્ચે સંઘર્ષ થયો હતો. આ પર્વનું મુખ્ય આકર્ષણ પવિત્ર નદીઓમાં સ્નાન છે, જેને અમૃત સ્નાન કહેવામાં આવે છે.
આ મેળો ખગોળીય ગણતરીઓ પર પણ આધારિત છે. જ્યારે ગુરુ સિંહ રાશિમાં હોય અને સૂર્ય મેષ રાશિમાં હોય, ત્યારે કુંભ મેળો ભરાય છે. આ ઉપરાંત તેની તારીખ નક્કી કરવામાં અન્ય ગ્રહોની સ્થિતિ પણ મહત્વની છે.
પૂર્ણ કુંભ
પૂર્ણ કુંભ મેળો એ કુંભ મેળાનું જ વિસ્તરણ છે, જે દર 12 વર્ષે પ્રયાગરાજમાં યોજાય છે. તેને કુંભનું પૂર્ણ સ્વરૂપ માનવામાં આવે છે અને તેનું મહત્વ અન્ય કુંભ મેળાઓ કરતા વધારે છે. પવિત્ર નદીઓ ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ પર યોજાતા આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય આત્માની શુદ્ધિ અને મોક્ષની પ્રાપ્તિ છે.
આયોજન સનાતન હિંદુ શાસ્ત્રો અને પુરાણોમાં વર્ણિત છે. આ મેળામાં લાખોની સંખ્યામાં ભક્તો અને સંતો ભાગ લે છે. ખાસ કરીને નાગા સાધુ અને અખાડાઓનું યોગદાન મહત્વનું છે. આ દરમિયાન ધાર્મિક વિધિઓ, હવન, કથાવાંચન અને પ્રવચનો થાય છે. પૂર્ણ કુંભનું આયોજન પણ ખગોળીય ગણતરીના આધારે કરવામાં આવે છે.
મહાકુંભ
મહાકુંભ મેળો ભારતીય ધાર્મિક કાર્યક્રમોનો સૌથી મોટો તહેવાર છે, જે દર 144 વર્ષે માત્ર પ્રયાગરાજમાં જ યોજાય છે. કુંભ મેળાનું આ સૌથી પવિત્ર અને મહત્વનું સ્વરૂપ માનવામાં આવે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર, આ મેળામાં સંગમમાં સ્નાન કરવાથી આત્મા પવિત્ર અને પાપોથી મુક્ત બને છે.
મહાકુંભનું આયોજન પણ ખગોળીય ગણતરીઓના આધારે કરવામાં આવે છે. જ્યારે ગુરુ, સૂર્ય અને ચંદ્ર એક વિશેષ સ્થિતિમાં હોય ત્યારે તેનું આયોજન કરવામાં આવે છે. ખાસ વાત એ છે કે, મહાકુંભનું આયોજન 12 પૂર્ણ કુંભ સાથે એટલે કે દર 144 વર્ષે કરવામાં આવે છે, તે પણ માત્ર પ્રયાગમાં જ. છેલ્લે 2013માં પ્રયાગરાજમાં કુંભ મેળો યોજાયો હતો. આ વખતે મહાકુંભનો 12મો અવસર એટલે કે 144મું વર્ષ છે , તેથી આ પૂર્ણ કુંભને મહાકુંભ કહેવામાં આવે છે.
દર 144 વર્ષે યોજાતા આ મહાકુંભને દેવો અને મનુષ્યના સંયુક્ત પર્વ તરીકે જોવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર પૃથ્વીનું એક વર્ષ દેવતાઓના એક દિવસ બરાબર હોય છે. આ ગણતરીના આધારે 144 વર્ષનું અંતર મહાકુંભ તરીકે ઉજવવામાં આવે છે.
મહાકુંભ 2025માં પાંચ પ્રમુખ સ્નાનપર્વ, ત્રણ રાજસી સ્નાનનો પણ સમાવેશ
- પોષ પૂર્ણિમા/પોષી પુનમ (13 જાન્યુઆરી 2025): કલ્પવાસનો આરંભ
- મકરસંક્રાંતિ (14 જાન્યુઆરી 2025): પ્રથમ અમૃત સ્નાન
- મૌની અમાસ (29 જાન્યુઆરી 2025): દ્વિતીય અમૃત સ્નાન
- વસંતપંચમી (3 ફેબ્રુઆરી 2025) તૃતીય અમૃત સ્નાન
- માઘ પૂર્ણિમા (12 ફેબ્રુઆરી 2025): કલ્પવાસનું સમાપન
- મહાશિવરાત્રી (26 ફેબ્રુઆરી 2025): મહાકુંભ 2025નો સમાપન દિન
હિંદુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિમાં અર્ધ કુંભ, કુંભ, પૂર્ણ કુંભ અને મહાકુંભ જેવા દરેક પ્રકારના કુંભ મેળાનું પોતાનું આગવું મહત્વ છે. આ આયોજનો પાછળ પૌરાણિક અને જ્યોતિષીય માન્યતાઓ છે, જે તેમની વિશેષતાને વધુ વિશેષ બનાવે છે. મહાકુંભનું આયોજન માત્ર પ્રયાગરાજમાં જ થાય છે, જે તેને વધુ ખાસ બનાવે છે. 2025નો મહાકુંભ માત્ર આધ્યાત્મિક ઊર્જાનું કેન્દ્ર જ નહીં હોય, પરંતુ તે ભારતીય સાંસ્કૃતિક વારસાનું ભવ્ય પ્રદર્શન પણ હશે.
ઇતિહાસકારો માને છે કે, કુંભ મેળો સિંધુ ખીણની સભ્યતાથી પણ પ્રાચીન છે. અમુક ઇતિહાસકારો અનુસાર, કુંભ મેળાનું આયોજન ગુપ્ત કાળ (ત્રીજીથી પાંચમી સદી)માં સુવ્યવસ્થિત રીતે શરૂ થયું હતું. ચીની યાત્રી હ્યુ-એન-ત્સાંગે પણ 629-645 વચ્ચે સમ્રાટ હર્ષવર્ધનના શાસનકાળ દરમિયાન પ્રયાગરાજના કુંભ મેળાનું વર્ણન કર્યું છે. તેમણે મેળાના આયોજનને વિશાળ અને ભવ્ય જણાવ્યું હતું, જેમાં અસંખ્ય સાધુઓ, વિદ્વાનો અને શ્રદ્ધાળુઓ આવ્યા હતા. આધુનિક પ્રશાસનિક માળખા હેઠળ કુંભનું સ્વરૂપ ગુપ્ત કાળથી શરૂ થયું અને શંકરાચાર્યે તેને ધર્મ અને સમાજને સાથે જોડવાનું એક માધ્યમ બનાવ્યું.

Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh