શેર ટ્રેડિંગમાં એસટીટી નાબૂદ, ઈન્કમ ટેક્સમાં રાહત… બજેટ પહેલા ઉદ્યોગજગતની નાણામંત્રી સમક્ષ રજૂઆત
કેન્દ્રીય નાણા મંત્રી 1 ફેબ્રુઆરી, 2025ના રોજ કેન્દ્રીય બજેટ રજૂ કરવાના છે. આ બજેટમાં ખાસ કરીને મધ્યમવર્ગને અનુલક્ષી સુધારાઓ થવાની અપેક્ષા વ્યક્ત થઈ રહી છે. વિવિધ ઉદ્યોગ જગતના નિષ્ણાતોએ આર્થિક સુધારાઓ માટે વિવિધ ભલામણો કરી છે. જેમાં શેરબજારમાંથી એસટીટી દૂર કરવા, ઈનકમ ટેક્સમાં રાહતો તેમજ મોંઘવારીને અંકુશમાં લેતાં પગલાંઓ લેવા માગ થઈ છે.
શેર્સના ટ્રેડિંગ પર એસટીટી ઘટાડવા કરી માગ
પીએચડી ચેમ્બરે નાણા મંત્રી સમક્ષ શેરબજારમાં ટ્રેડિંગ પર લાગતા સિક્યુરિટી ટ્રાન્જેક્શન ટેક્સને સંપૂર્ણપણે નાબૂદ કરવા ભલામણ કરી છે. હાલમાં જ લોંગ ટર્મ કેપિટલ ગેન ટેક્સ 10 ટકાથી વધારી 12.5 ટકા કરવામાં આવ્યો છે. લોંગ ટર્મ કેપિટલ ગેઈન અન્ય એસેટ્સ પર લાગતાં ટેક્સ સમકક્ષ થઈ જતાં શેર્સના ટ્રેડિંગ પર એસટીટી દૂર કરવા માગ કરવામાં આવી છે. સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં એસટીટી હેઠળ રૂ. 40114 કરોડ વસૂલ્યા છે. જેથી રોકાણકારો પર ટેક્સનો બોજો હળવો કરવાના ભાગરૂપે આ માગ થઈ છે. જેનાથી અર્થવ્યવસ્થાને વેગ મળશે.
કોર્પોરેટ પર સરકાર મહેરબાન
પ્રી-બજેટ બેઠકમાં બિઝનેસ ચેમ્બરના પ્રતિનિધિઓ પણ સામેલ થયા હતા. જેમાં એસોચેમ તરફથી સામાન્ય કરદાતાઓ પરથી ટેક્સનો બોજો ઘટાડવા માગ થઈ હતી. એસોચેમે જણાવ્યું હતું કે, કોર્પોરેટ ટેક્સમાં જે રીતે ઘટાડો કરવામાં આવ્યો છે, તેવી જ રીતે પર્સનલ ટેક્સ રેટમાં પણ ઘટાડો આવશ્યક છે. જેનાથી મધ્યમવર્ગ પર બોજો હળવો થશે. પર્સનલ અને કોર્પોરેટ ટેક્સ વચ્ચેનો તફાવત સતત વધ્યો છે. કેન્દ્ર સરકારે કોર્પોરેટ જગતની સાથે સાથે સામાન્ય નાગરિક તરફ પણ ધ્યાન આપવા અપીલ કરી છે. જૂની ટેક્સ રિજીમમાં ટેક્સ રેટ 42.74 ટકા અને નવી ટેક્સ રિજીમમાં 39 ટકા ટેક્સ રેટ લાગુ છે. જ્યારે કોર્પોરેટ ટેક્સ રેટ 25.17 ટકા જ છે.
ભારતમાં સૌથી વધુ ટેક્સ
એસોચેમ અનુસાર, ભારતમાં પર્સનલ ઈનકમ ટેક્સ રેટ અન્ય દેશોની તુલનાએ અધિક છે. હોંગકોંગમાં 15 ટકા, શ્રીલંકામાં 18 ટકા, બાંગ્લાદેશમાં 25 ટકા, સિંગાપોરમાં 22 ટકા ટેક્સ લાગુ છે. તદુપરાંત બંને જુદી-જુદી ટેક્સ પદ્ધતિઓના કારણે મૂંઝવણો પણ વધી છે. જેથી ઈનકમ ટેક્સમાં સરળીકરણ સાથે રાહતો આપવા માગ ઉઠી છે.

Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh