અમદાવાદથી ભોપાલ જતી ખાનગી ટ્રાવેલ્સને નડ્યો અકસ્માત, ૧૧ ઈજાગ્રસ્ત, ડ્રાઇવરની હાલત ગંભીર
અમદાવાદથી ભોપાલ જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સ અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મંગળવારે (24મી ડિસેમ્બર) વહેલી સવારે આ ટ્રાવેલ્સ અમદાવાદથી ભોપાલ જઈ રહી હતી. ત્યારે સંતરોડ નજીક આવેલાં ભથવપાડા ટોલનાકા નજીક અકસ્માત નડ્યો હતો. જેમાં 25થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયાં છે. અકસ્માતની જાણ થતાં એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવા અને ફાયર બ્રિગેડની મદદથી ફસાયેલા મુસાફરોને બસમાંથી બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઈ હતી.
શું હતી સમગ્ર ઘટના?
અમદાવાદથી ખાનગી ટ્રાવેલ્સ મુસાફરોને લઈ ભોપાલ જઈ રહી હતી. ત્યારે મંગળવારે વહેલી સવારે ટ્રાવેલ્સની આગળ ચાલી રહેલાં ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતાં બસ ટ્રેલર સાથે અથડાઈ હતી. આ અકસ્માતના કારણે ટ્રાવેલ્સનો આગળનો ભાગ આખો તૂટી ગયો હતો અને ડ્રાઇવર સહિત 25થી વધુ મુસાફરો ટ્રાવેલ્સમાં જ ફસાઈ ગયા હતાં. સમગ્ર ઘટનાની જાણ થતાં તાત્કાલિક ધોરણે 108 અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડે 25 થી વધુ મુસાફરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. જેમાંથી 11 જેટલાં મુસાફરો ગંભીર ઈજાઓ થતાં તેઓને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતાં. આ સિવાય ડ્રાઇવરની હાલત ગંભીર હોવાના કારણે તેને અમદાવાદ સિવિલ ખસેડવામાં આવ્યો છે.
પોલીસે હાથ ધરી તપાસ
સમગ્ર બનાવની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ તપાસમાં આ ટ્રેલર જ્યારે ભથવાડા ટોલનાકા પરથી પસાર થયું તે વખતના CCTV વીડિયો સામે આવ્યા છે. પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh